બદરીનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: ટેમ્પો ટ્રાવેલર અલકાનંદ નદીમાં ખાબકતા 10નાં મોત, 7 લોકો ઈજાગ્રસ્ત; પોલીસે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી
- 15 Jun, 2024
ઉત્તરાખંડના બદરીનાથ હાઈવે પર મોટો રોડ અકસ્માત થયો હોવાના અહેવાલો છે. અહીં એક ટેમ્પો ટ્રેવલર વાહને નિયંત્રણ ગુમાવતા તે અલકાનંદ નદીમાં પડ્યું હતું. આ દુર્ઘટનામાં લગભગ 10થી વધુ લોકોનાં મોત થયા છે. આ અકસ્માત બદરીનાથ હાઈવેના રેંતોલીની પાસ થયો છે. આ ઘટના અંગેની માહિતી મળતા જ હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.
એસપી વિશાખા અશોક ભદ્રોણે આ ઘટનાની પુષ્ટિ કરી છે. ઘટનાના સમાચાર મળતા જ રેસ્ક્યુ ટીમ હાલ ઘટના સ્થળે જવા રવાની થઈ છે. આ દુર્ઘટનામાં સાત લોકોને ઈજા થઈ છે. જોકે હજી બચાવકામગીરી ચાલી રહી છે. આ દુર્ઘટનામાં ભોગ બનેલું વાહન દિલ્હીનાં યાત્રાળુઓને લઈને જઈ રહ્યું હતું. આ યાત્રાળુઓ દિલ્હીથી ચોપતા તંગુનાથ જઈ રહ્યાં હતા. આ વાહનમાં ડ્રાઈવર સહિત 23 લોકો બેઠેલા હતા. આ દુર્ઘટનામાં મોતનો આંકડો વધે તેવી શક્યતા છે. હાલ સ્થાનિક લોકો, જિલ્લા પોલીસ, એસડીઆરએફ, ફાયર સર્વિસ, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સંયુક્ત રીતે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ પણ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે 'X'પર લખ્યું - 'રુદ્રપ્રયાગ જિલ્લામાં ટેમ્પો ટ્રાવેલરના અકસ્માતના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર અને એસડીઆરએફની ટીમ રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે. ઘાયલોને સારવાર માટે નજીકના મેડિકલ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટને ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ભગવાન મૃતકોના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના. હું બાબા કેદારને ઈજાગ્રસ્તોના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરું છું.'